દેશમાં આજે (17 જૂન) એક જ દિવસમાં એર ઈન્ડિયાની સાત ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. જેને લઈને અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આ વચ્ચે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને (DGCA) એરલાઈન્સના અધિકારીઓની તાત્કાલીક બેઠક બોલાવી હતી. વાસ્તવમાં અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ રોજબરોજ ફ્લાઈટમાં ખામીના સમાચાર મળી રહ્યા છે. આજે એર ઈન્ડિયાની કુલ સાત ફ્લાઈટ ટેક્નિકલ તથા અન્ય કારણોસર ઉડાન ભરી શકી ન હતી. એર ઈન્ડિયાની દિલ્હીથી પેરિસ, લંડનથી અમૃતસર, સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ અને અમદાવાદથી લંડન આવતી ફ્લાઈટ રદ કરવામાં આવી છે. સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા, બેંગ્લુરૂથી લંડન જતી ફ્લાઈટ પણ રદ થઈ હતી. મોટાભાગની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. રદ થયેલી ફ્લાઈટ્સમાં છ બોઈંગ 787-8 ડ્રીમલાઈનર હતી. આ મોડલ જ અમદાવાદમાં ક્રેશ થયુ હતું.