દેશભરમાં આજે (15મી ઓગસ્ટ) સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે પોરબંદરમાં 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી.
પોરબંદરમાં યોજાનાર કાર્યક્રમમાં 'બાપુના પગલે તિરંગા ભારત' થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન વિશ્વ વિખ્યાત મણિયારો રાસ, ટિપ્પણી રાસ, તાંડવ નર્તન અને ઉત્સાહી ગરબા જેવા વિવિધ નૃત્યો પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા ગોલ્ડન ગાંધી સહિતની કલાકારોની ટીમ પણ હાજર રહેશે અને આ કાર્યક્રમમાં પરફોર્મન્સ કરશે.