આજે અષાઠી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ત્યારે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. 'જય રણછોડ, માખણચોર'ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે. ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું જીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
ભગવાન જગન્નાથ મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા છે. ભગવાન જગન્નાથના દર્શન બાદ મુખ્યમંત્રીએ પહિંદવિધિ કરી અને પોતાના હાથે ભગવાન જગન્નાથનો રથ ખેંચીને યાત્રાનો આરંભ કર્યો છે.