પહલગામ આતંકવાદી હુમલો કરનાર આતંકવાદીઓના 2 મદદગારની ધરપકડ કરાઈ
22મી એપ્રિલે પહલગામમાં અમાનવીય અને હીચકારો આતંકવાદી હુમલો કરનારા આતંકવાદીઓના 2 મદદગારની સુરક્ષા એજન્સી NIA દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓએ આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો. NIA દ્વારા બાટકોટ અને પહલગામમાંથી પરવેઝ જોથર અને બશીર જોથર નામના શખ્શોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે 22મી એપ્રિલે થયેલા Pahalgam Terror Attack બાદ ભારત સરકાર આતંકવાદીઓ અને તેમને શરણ આપતા શખ્શો પર કડક કાર્યવાહી કરી રહી છે. જે અનુસંધાને સુરક્ષા એજન્સી દ્વારા આતંકવાદીઓને આશ્રય આપનારની ધરપકડ કરી છે.
મદદગારોએ કરી કબૂલાત
NIA એ કહ્યું, પહલગામના બાટકોટના રહેવાસી પરવેઝ અહમદ જોથર અને પહલગામના હિલ પાર્કના રહેવાસી બશીર અહમદ જોથરએ હુમલામાં સામેલ 3 સશસ્ત્ર આતંકવાદીઓની ઓળખ જાહેર કરી છે અને એ પણ જણાવ્યું છે કે તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા પાકિસ્તાની નાગરિક હતા. NIA એ કહ્યું કે પરવેઝ અને બશીરે હુમલા પહેલા હિલ પાર્કમાં એક ઝૂંપડીમાં 3 સશસ્ત્ર આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો.