ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઇએ કહ્યું હતું કે દેશમાં ન્યાયિક એક્ટિવિઝમની ભૂમિકા જળવાઇ રહેશે પરંતુ તેને એટલુ પણ મહત્વ ના આપવું જોઇએ કે તે ન્યાયિક આતંકવાદનું સ્વરૂપ લઇ લે. અગાઉ સુપ્રીમ કોર્ટે જાતિગત અનામતમાં પેટા અનામતની જાહેરાત જાહેર કરવાની રાજ્યોને છૂટ આપી હતી, આ નિર્ણયને મુખ્ય ન્યાયાધીશ ગવઇએ યોગ્ય ઠેરવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ પેટા અનામત એ વર્ગો માટે ન્યાય સમાન છે કે જેઓ અત્યાર સુધી વંચિત રહી ગયા છે. સાથે જ મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટતા કરી હતી કે જે મામલાઓમાં સત્તા ના હોય ત્યાં કોર્ટોએ દખલ ના દેવી જોઇએ.